Change Language

અધિષ્ઠાયક દેવ અને દેવી

ગિરનાર મહાતીર્થના અચિંત્ય પ્રભાવના કારણે અનેક આત્માઓ સન્માર્ગને પામ્યા. આ તીર્થના ઉપકારની અંશાત્મક ઋણમુક્તિ કાજે તે આત્માઓ દેવો થતાં આ તીર્થના ઉદય અને રક્ષણનાં કાર્યમાં લાગી ગયા. સર્વત્ર તીર્થની યશ – કીર્તિ ફેલાવવાના મહત્વના કાર્યમાં લાગી તેઓએ આ તીર્થને જગ મશહૂર બનાવવાના ભગીરથ પ્રયાસો કર્યા છે.

  • ગિરનાર મહાતીર્થના વાયવ્યકોણમાં શ્રી નેમિનાથ પરમાત્માને મસ્તક પર ધારણ કરીને સર્વસંકટોનું હરણ કરવા માટે ઇન્દ્ર મહારાજા ઇન્દ્ર નામનું નગર વસાવીને રહ્યા છે.
  • ગિરનાર મહાતીર્થના ડમર નામના દ્વારમાં શ્રી નેમિપ્રભુના ધ્યાનથી પવિત્ર બનેલા બ્રહ્મેન્દ્રે સંઘની વૃદ્ધિ માટે પોતાની મૂર્તિ સ્થાપન કરી છે.
  • ગિરનાર મહાતીર્થના નંદભદ્ર નામના દ્વારમાં જિનેશ્વર પરમાત્માના ધ્યાનથી પવિત્ર બનેલ મનવાળો મલ્લીનાથ નામના બળવાન રુદ્ર દ્વારપાળ તરીકે ઉભા રહ્યા છે.
  • ગિરનાર મહાતીર્થના બકુલદ્વારમાં લોકોના વિઘ્નરૂપ તૃણના સમૂહને ઉડાડનાર મહાબળવાન વાયુકુમાર રહ્યા છે.
  • ગિરનાર મહાતીર્થના બદરીદ્વારમાં પોતાના શસ્ત્રોથી વિઘ્નરૂપ શત્રુઓને હણનાર બદરીશ નામના દેવાત્મા રહેલ છે.
  • ઉત્તરકુરુમાં સાત માતાદેવીઓ રક્ષણ કરીને રહેલી છે.
  • ગિરનાર મહાતીર્થના કેદારદ્વારમાં કેદાર નામના રુદ્ર ગિરિવરના રક્ષક થઈને રહ્યા છે.
  • ગિરનાર મહાતીર્થના મહાબલદ્વારમાં પોતાના મસ્તક પર છત્રરૂપ કરેલા જિનેશ્વર ભગવાનના ચરણકમલથી આતપરહિત બનીને બળવાન બલભદ્ર દેવાત્મા રહેલા છે

આ રીતે આઠે દિશાઓમાં આઠ દેવતાઓએ નિવાસ કર્યો છે. જેમ જિનેશ્વરદેવની પાસે આઠ પ્રાતિહાર્ય શોભી રહ્યા હોય છે તેમ આ આઠદેવતાઓ ગિરિવરની ઉપર સ્વઆયુધ ઉંચા કરી પ્રતિહાર્ય થઈને તીર્થની રક્ષા કરી રહ્યાછે. શ્રી નેમીપ્રભુની સેવા દ્વારા અત્યંત પવિત્ર અને નિર્મળ બનેલા અસંખ્ય દેવતાઓ આ મહાતીર્થ ઉપે આવતા સૌ ભવ્યજીવો પ્રત્યે વાત્સલ્યભાવ રાખી સૌના મનોરથોને પૂરે છે.

  • મુખ્ય શિખરથી ઉત્તર દિશાના રક્ષક મહાબળવાન મેઘનાદ છે.
  • પશ્ચિમ દિશાના રક્ષણ વાંછિત અર્થને આપનારા રત્નમેઘનાદ છે.
  • પૂર્વ દિશામાં સિદ્ધિવિનાયક નામના દેવ છે.
  • દક્ષિણદિશામાં સિંહનાદ નામના દેવ નિવાસ કરે છે.

એ ચારે દેવોથી તે શિખર જાણે કે ચૌમુખજી નહોય! તેવું ભાસે છે.

  • આ ગિરિવરના પ્રત્યેક વૃક્ષમાં, પ્રત્યેક સરોવરમાં, પ્રત્યેક કૂવામાં, પ્રત્યેક દ્રહમાં, પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક શિખરમાં, શ્રી નેમિનાથ ભગવાનના ધ્યાનમાં સદા તત્પર એવા અનેક દેવતાઓએ નિવાસ કરેલ છે.
  • કોઈ કન્યાના હારની મધ્યમાં રહેલા રત્નની જેમ આ સર્વની મધ્યમાં ઉંચા શિખર ઉપર શ્રી સંઘના વાંછિત પૂરનારી સિંહવાહિની અંબિકાદેવીનો નિવાસ છે.
  • અંબાગિરિના દક્ષિણ તરફ સર્વ શસ્ત્રો વડે યુદ્ધથી મદોન્મત્ત એવા શત્રુઓના સમૂહને રોકનાર ગોમેધ યક્ષ રહેલા છે.
  • ઉત્તરદિશાએ સંઘના વિઘ્ન સમૂહને હરવા ચતુર એવા પ્રસન્નનયના મહાજ્વાલા દેવી રહેલા છે.

આ ગિરિવર ઉપર એવા અનેક શિખરો અને ગુફાઓ છે જ્યાં જિનેશ્વર પરમાત્માની સેવામાં તત્પર એવા ઘણાં દેવતાઓએ આશ્રય કરેલો છે. તેથી આ ગિરિ સ્વર્ગથી પણ અત્યંત મનોહર જાણે દેવતામય થયેલો હોય તેમ જણાય છે.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.