Change Language

જિર્ણોધ્ધાર

ચોથા આરાનાં

ચોથા આરામાં શ્રી ગિરનાર તીર્થ ઉપર થયેલા ઉધ્ધારો

  • આ અવસર્પિણીમાં ચોથા આરામાં ભરત મહારાજાએ ગિરનારતીર્થનો સર્વ પ્રથમ ઉદ્ધાર કરાવ્યો હતો.
  • ભરત મહારાજાના મોક્ષે ગયા બાદ છ ક્રોડ વર્ષ પછી દંડવીર્ય રાજાએ ગિરનાર તીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • ત્યારબાદ સો સાગરોપમ વર્ષ પછી બીજા દેવલોકના ઈશાનઇન્દ્રે ગિરનાર તીર્થનો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • ત્યારબાદ એક ક્રોડ સાગરોપમ વર્ષ પછી ચોથા દેવલોકના મહેન્દ્રઇન્દ્રે ગિરનાર તીર્થનો ચોથા ઉદ્ધાર કરાવ્યોહતો.
  • ત્યારબાદ ૧૦ ક્રોડ સાગરોપમ વર્ષ પછી પાંચમા દેવલોકના બ્રહ્મેન્દ્રઇન્દ્રે ગિરનાર તીર્થનો પાંચમો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • ત્યારબાદ લાખ ક્રોડ સાગરોપમ વર્ષ પછી ભવનપતિ નિકાયના ઇન્દ્રોએ ગિરનાર તીર્થનો છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • બીજા તીર્થંકર શ્રી અજિતનાથ પરમાત્માના શાસાનમાં સાગર નામે બીજા ચક્રવર્તી થયા હતા તેને ગિરનાર ગિરિનો સાતમો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • ત્યારબાદ શ્રી અભિનંદનસ્વામિ પરમાત્માના શાસનમાં વ્યંતર નિકાયના ઇન્દ્રે ગિરનાર તીર્થનો આઠમો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • ત્યારબાદ શ્રી ચન્દ્રપ્રભસ્વામિ ભગવંતના શાસનમાં ચંદ્રયશા રાજાએ ગિરનાર તીર્થનો નવમો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • સોળમાં શ્રી શાંતિનાથ પરમાત્માના પુત્ર શ્રી ચક્રધર રાજાએ ગિરનારગિરિનો દસમો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • વીસમાં શ્રી મુનિસુવ્રતસ્વામિ પરમાત્માના શાસનમાં દશરથ રાજાના પુત્ર રામચંદ્રજીએ ગિરનાર તીર્થનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • બાવીસમાં શ્રી નેમિનાથ પરમાત્માના શાસનમાં પાંડવોએ ગિરનાર તીર્થનો બારમો ઉદ્ધાર કરાવ્યો હતો.
  • શ્રી નેમિનાથ પરમાત્માના નિર્વાણ પછી બે હજાર વર્ષે પછી રત્નાશા નામના શ્રાવકે ગિરનાર તીર્થ ઉપર અંબિકાદેવીની સહાયથી બ્રહ્મેન્દ્રે બનાવેલી વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન એવી શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાજી પધરાવી ગિરનાર તીર્થનો તેરમો ઉદ્ધાર કરાવ્યો. રત્નાશાની પ્રતિષ્ઠા કરાવેલી પ્રતિમા લગભગ ૮૪૭૮૫ વર્ષથી આજ દિન સુધી ગિરનારતીર્થ ઉપર બિરાજમાન છે.

પાંચમા આરાના

પાંચમા આરામાં શ્રી ગિરનાર મહાતીર્થ ઉપર થયેલા ઉધ્ધારો

  • સૌ પ્રથમ અનાર્યદેશ બેબીલોનના રાજા નેબુચન્દ્ર જે પ્રાયઃ પરમાત્મા મહાવીરસ્વામીના શાસનના શ્રેણિકરાજાના મિત્ર હતા. તે પોતાના પુત્ર મુનિને શોધવા ભારતમાં આવ્યા ત્યારે જૈન ધર્મથી પ્રભાવિત થઇ ગિરનાર ઉપર જીર્ણ હાલતમાં રહેલા જિનાલય જોઈ તેનો જીર્ણોધ્ધાર કરાવ્યો. (કેટલાક ગ્રંથોના ૧૯૩૫ માં પ્રભાસપાટણમાં મળી આવેલ તામ્રપત્રના આધારે આવું અનુમાન કરવામાં આવે છે, તત્વતો કેવલી ભગવંત જાણે.)
  • ૧૫૪ માં થયેલા શ્રી પાદલિપ્તસૂરીશ્વરજીએ ગિરનાર પર્વતની નીચે કિલ્લાની પાસે શ્રી નેમિનાથના ચરિત્રનું વ્યાખ્યાન કર્યું હતું, તે સાંભળી નાગાર્જુને દશાર્હ મંડપ ઉગ્રસેનનો મહેલ, વિવાહ મંડપ, ચોરી આદિ કૌતુકાર્થે બનાવ્યા હતા. જે ચૌદમાં સૈકા સુધી વિદ્યમાન હતા.
  • ૫૧૨ – ૧૩ (ઈ.સ. ૪૫૫ – ૫૬)માં સમુદ્રગુપ્તના સુબા ચક્રપાલીતે ગિરનારના સુદર્શનનો ઉદ્ધાર કરાવ્યો.
  • ૧૦૯૨ નાં લેખવાળી અંબિકાની ધાતુ પ્રતિમા જૂનાગઢમાં શ્રી મહાવીર સ્વામીજીના દહેરાસરમાં વિદ્યમાન છે.
  • ૧૧૧૩ નાં જેઠ માસની ૧૪ના દિવસનો લેખ ગિરનારના મુખ્ય શ્રી નેમિનાથજીનાં મંદિરના થાંભલા પર છે.
  • ૧૧૧૫ નાં ચિત્ર સુદ ૮ ને રવિવારે (ગિરનાર પર) દેવોના જુના દેરાં કાઢી નવા બનાવ્યા. એવો લેખ ટોડ સાહેબને મળ્યો હતો.
  • ૧૧૩૫ માં ગિરનારમાં પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ મુખ્ય મંદિરના થાંભલા પર છે.
  • વિ.સ.૧૧૮૫ની સાલમાં પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહનાં મંત્રી સજ્જન દ્વારા અસલ કાષ્ઠનાં મંદિરના સ્થાને ગ્રેનાઈટના શ્યામવર્ણના પાષાણ દ્વારા જીર્ણોધ્ધાર કરાવવામાં આવ્યો હતો. જેને ‘કર્ણ વિહાર’ નામ આપવામાં આવ્યું હતું. વિશ્વમાં પ્રાયઃ એક માત્ર એવો પ્રાસાદ શ્યામવર્ણના ગ્રેનાઈટના પાષાણમાંથી બનાવવામાં આવ્યો. ત્યારબાદ તીર્થના ઘણા ઉદ્ધાર થયા પરંતુ નેમિનાથ પરમાત્માનો પ્રાસાદ યથાવત રાખીને ઉદ્ધાર કરવામાં આવ્યા છે.
  • ૧૨ -૧૩ માં સૈકાનું પ્રાચીન અંબિકાદેવીનું મંદિર ગિરનાર ઉપર છે.
  • ૧૨૨૦ પછી સોરઠના દંડ નાયક શ્રીમાલ આંબડ મંત્રીએ ગિરનારની પાજ અને ધવલ શ્રેષ્ઠિએ વાવ બંધાવી.
  • ૧૨૭૦ કે ૧૩૧૬ કાગ્ભાગમાં મંડલીક રાજાએ ગિરનાર પરના નેમિનાથ ભગવાનનો પ્રાસાદ સુવર્ણના પતરાથી માંધાવ્યો. એવો એક શિલાલેખમાં ઉલ્લેખ છે.
  • ૧૨૭૮ માં વસ્તુપાલે દેવાલયો સમરાવ્યા એવો એક લેખ મુખ્ય જિનાલયના થાંભલા ઉપર છે. તથા ૧૨૭૮ – ૮૮ માં ગિરનારજી ઉપર કલામય મંદિરો બંધાવ્યા.
  • ૧૨૮૮ નાં છ શિલાલેખો વસ્તુપાલની ટૂંકમાં છે.
  • ૧૩ માં સૈકામાં તેજપાળે ગિરનારની તળેટીમાં પોતાના નામનો કિલ્લો, વાવડી, મંદિર અને તેજપુર ગામ વસાવ્યું.
  • ૧૩ માં સૈકામાં કુમારપાળે ગિરનાર પર ટૂંક બંધાવી.
  • ૧૩ માં સૈકામાં પલ્લીવાલ શ્રેષ્ઠિ નેમડના કુટુંબીઓએ શત્રુંજય, ગિરનાર, આબુ, જાલોર, તારંગા, પાટણ, લાડોલ, પાલનપુર અને ચારૂપ આદિ સ્થાનોમાં જિનમંદિરોમાં મૂર્તિઓ બેસાડી અને ધર્મ સ્થાનોની સ્થાપના કરી.
  • ૧૩૩૩ નાં એક શિલાલેખમાં શ્રેષ્ઠિ હરિપાલે નેમનાથના મંદિરને કંઇક ભેટ આપ્યાનો ઉલ્લેખ છે.
  • ૧૩૩૫ નો એક ખંડિત શિલાલેખ મંદિરના થાંભલા ઉપર છે તેમાં વિલ્હણ શ્રેષ્ઠિ સંબંધિ ઉલ્લેખ છે.
  • ૧૩૩૯ નાં લેખમાં શ્રેષ્ઠિ પૂનમસિંહે મંદિરને કંઇક ભેટ આપ્યાનો ઉલ્લેખ છે.
  • ૧૩૫૮ નો લેખ મુખ્ય જિનાલયના ભોંયરામાં રહેલી શ્રી નેમનાથની પ્રતિમા ઉપરછે.
  • ૧૪૮૫ નો લેખ ચૌમુખજીની પ્રતિમા નીચે છે. જે ચૌમુખજી વસ્તુપાલ – તેજપાલના મંદિરમાં છે.
  • ૧૫૧૭ – ૧૮ નો લેખ ગિરનાર સંપ્રતિના મંદિરમાંની શ્રી નેમિનાથની મૂર્તિ ઉપર છે.
  • ૧૫૪૬ નાં લેખો વસ્તુપાલ – તેજપાલનાં મંદિરમાંની ત્રણ મૂર્તિઓ ઉપર છે. તથા ૧૫૫૬ નાં લેખો ચૌમુખજીની ત્રણ પ્રતિમા નીચે છે.
  • ૧૬ મા સૈકામાં ગિરનાર પર અંબિકાદેવીના મંદિરનો જિર્ણોધ્ધાર થયો.
  • ૧૬ મા સૈકા (૧૫૦૯) માં શ્રેષ્ઠિ શાણરાજ અને ભુંભવે ગિરનારમાં બાવન જિનાલયવાળો ઇન્દ્રનીલતિલક નામનો પ્રાસાદ બનાવ્યો.
  • ૧૬૮૩ માં દીવ નિવાસી શ્રીમાળી શેઠ માનસિંહ મેઘજીએ ગિરનારની પાજનો ઉદ્ધાર કરાવ્યો, આવો લેખ ગિરનારના હાથીપહાણા આગળ છે.
  • ૧૮૪૩ માં શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ સંગ્રામસોનીની ટૂંકનો જિર્ણોધ્ધાર કરાવ્યો.
  • ૧૮૫૯ નાં લેખો મેકરવસહી મંદિરમાં ચૌમુખજી ઉપર અને મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન ઉપર છે. મૂળનાયકની પ્રતિષ્ઠા શ્રી જિનેન્દ્રસૂરિજીએ કરી હતી.
  • ૧૮૫૭ નાં લેખવાળી અભિનંદન સ્વામીજીની મૂર્તિ કુમારપાળની ટૂંકના મુખ્ય મંદિરમાં છે.
  • ૧૯૦૧ લગભગ ઓસવાલ શેઠ માનસિંહ ભોજરાજે ગિરનાર ઉપર ટૂંક બંધાવી.
  • ૧૯૩૨ માં શેઠ નરશી કેશવજી ગિરનારજીના મંદિરનો જિર્ણોધ્ધાર કરાવ્યો.
  • ૧૯૭૯ માં પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય નીતિસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી બધા મંદિરોનો ઉદ્ધાર શરુ કરવામાં આવ્યો હતો. ૧૯૮૬ સુધીમાં લગભગ રૂ. ૨,૩૮,૦૦૦ નો ખર્ચ કરી મંદિરોને સુધારવામાં આવ્યા હતાં.
  • તાજેતરમાં ૪૦ વર્ષ પૂર્વે શ્રી નેમિનાથપ્રભુના દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકની પાવનભૂમિ સહસાવન તરફ સમસ્ત શ્રી સંઘ દ્વારા ઉપેક્ષા સેવતી હતી ત્યારે તપસ્વીસમ્રાટ શ્રી હિમાંશુ સૂરીશ્વરજી મ.સા.ના પ્રચંડ પુરુષાર્થ અને પુણ્યથી તથા અંબિકાદેવીની સહાયથી સહસાવનની કલ્યાણકભૂમિમાં અત્યંત મનોરમ્ય વિશાળ, આબેહૂબ સમવસરણ મંદિરનું નિર્માણ વિ.સ.૨૦૪૦ ની સાલમાં કરવામાં આવેલ છે. જેના કારણે આજે આ કલ્યાણકભૂમિ સુરક્ષિત છે. અને તેનો મહિમા ભવ્યજીવોનાં હૈયા સુધી પહોંચેલ છે.
Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.